અહેવાલ – હરીશ જોશી, કપડવંજ
કપડવંજ તાલુકાના ભૂંગળીયા ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ૫૨ વર્ષીય આધેડે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની ઘટના નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂંગળીયા ગામના શનાભાઈ અંબાલાલ વાળંદે પોતાના ખેતરમાં આવેલા લીમડાના ઝાડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારજનો અને ગામલોકોમાં આ બનાવને લઈને આઘાત ફેલાયો છે. બનાવ અંગે જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તબક્કામાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

