નડિયાદ: રાજકારણમાં નૈતિકતા અને સેવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં એક વિસ્ફોટક નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ પટેલે નડિયાદમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે, તેમણે રાજકારણમાં રહીને નાણાં બનાવ્યા છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજકીય આલમમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.
ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ કબૂલાત?
નડિયાદના કાર્યક્રમમાં સ્ટેજ પરથી સંબોધન કરતા વિપુલ પટેલે આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે, “મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે, અને એ હું છાતી ઠોકીને કહું છું.” સામાન્ય રીતે નેતાઓ પર જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ત્યારે તેઓ બચાવની મુદ્રામાં હોય છે, પરંતુ અહીં તો એક પૂર્વ હોદ્દેદારે જાહેરમાં કબૂલાત કરતા શાસક પક્ષ માટે ભારે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે.
નૈતિક મૂલ્યો અને પારદર્શિતા સામે સવાલ
આ વિવાદાસ્પદ નિવેદનને પગલે રાજકારણમાં નૈતિક મૂલ્યો અને પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલોના તીર સંધાયા છે. બુદ્ધિજીવીઓનું કહેવું છે કે જાહેર જીવનમાં પદની ગરિમા હોય છે, ત્યારે લોકશાહીના આદર્શોને નેવે મૂકીને નાણાં બનાવવાની વાત કરવી તે ટીકાપાત્ર છે. ખાસ કરીને શાસક પક્ષના પૂર્વ હોદ્દેદારના મુખેથી નીકળેલા આ શબ્દોએ વિપક્ષને પણ મોટું હથિયાર આપી દીધું છે.
પ્રદેશ સ્તરે ગાજ્યો મામલો, શિસ્તભંગના પગલાં લેવાશે?
આ નિવેદન માત્ર ખેડા જિલ્લા પૂરતું સીમિત ન રહેતા પ્રદેશ સ્તરે પણ ગાજ્યું છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ નિવેદનની અસર આગામી ચૂંટણીઓ પર પણ પડી શકે છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે પક્ષ આ મામલે કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અથવા કોઈ શિસ્તભંગના પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું !!

સ્ટેજ પરથી વિપુલ પટેલની કબૂલાતે રાજકારણને શરમાવ્યું.
નડિયાદમાં નેતાજીનું ‘સત્ય’ વચન: “મેં રાજકારણમાં કમાણી કરી છે, ડર કોનો?”
અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલના ‘વિષવચન’થી ખેડા ભાજપમાં સોપો પડી ગયો.

