સત્ય વિચાર દૈનિક

સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના જ સનિષ્ઠ કાર્યકર પ્રભાતસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખને લખેલો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ

સોશ્યલ મીડિયામાં વાયરલ પત્ર

વાયરલ થયેલ પત્રમાં ગંભીર આક્ષેપો સાથે અસંતોષ વ્યક્ત કર્યો

“નિયમોનો ઢોંગ, પરિવારવાદનો દંગલ!” સુરેન્દ્રનગર ભાજપમાં ટિકિટ વિતરણથી ઉઠ્યો બળવો


સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ પહેલાં ભાજપની અંદર જ ગંભીર અસંતોષ અને બળવો ભભૂકી ઉઠ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા કડક નિયમો હવે માત્ર કાગળ પરના દાવા સાબિત થઈ રહ્યા છે, જ્યારે વાસ્તવમાં “વહાલા-દવલા” અને “પરિવારવાદ”નો ખુલ્લો ખેલ રમાઈ રહ્યો છે. લીંબડી વિધાનસભા હેઠળની ચુડા-૨ બેઠક પર એક જ પરિવારને સતત પાંચમી વખત ટિકિટ અપાતા પાયાના કાર્યકરોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

પાર્ટી દ્વારા ગાજવીજ સાથે જાહેરાત કરવામાં આવી હતી કે ૫૦ વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે, તેમજ ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડનારા અથવા તેમના પરિવારને ફરી તક નહીં મળે. પરંતુ આ તમામ નિયમોને ચુડા-૨ બેઠક પર નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા છે. જશુભાઈ વિરસંગભાઈ સોલંકી અને તેમની પત્ની જયાબા સોલંકી છેલ્લા બે દાયકાથી સત્તા પર કબજો જમાવી રહ્યા છે. નામોમાં ફેરફાર કરીને—ક્યારે જશુભાઈ, ક્યારે જયવિરસિંહ—એક જ પરિવારને વારંવાર ટિકિટ અપાવવાનો આક્ષેપ હવે ખુલ્લેઆમ ચર્ચામાં છે.

ભાજપના જ સનિષ્ઠ કાર્યકર પ્રભાતસિંહ વાઘેલાએ પ્રદેશ નેતૃત્વને લખેલા પત્રમાં આ સમગ્ર પ્રકરણને “પક્ષના સિદ્ધાંતો સાથેનો વિશ્વાસઘાત” ગણાવ્યો છે. તેમના આક્ષેપો અનુસાર, જિલ્લા અને પ્રદેશ સ્તરના કેટલાક હોદ્દેદારો સાથેના ‘ઘરોબા’ના કારણે નિયમોને જ્ઞાતપણે બાજુએ મૂકી દેવામાં આવ્યા છે. આ ઘટના પક્ષની આંતરિક પારદર્શકતા અને નૈતિકતાને સીધો પડકાર આપે છે.

સ્થાનિક કાર્યકરો હવે ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે—શું નિયમો માત્ર સામાન્ય અને સંનિષ્ઠ કાર્યકરોને બાજુએ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે? શું પક્ષમાં પ્રામાણિક મહેનત કરતા કાર્યકરો માટે કોઈ સ્થાન જ નથી? “હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ” જેવી ટિપ્પણીઓ હવે માત્ર ગુસ્સો નહીં, પરંતુ ઊંડો અસંતોષ દર્શાવે છે.

કાર્યકરો ચીમકી આપી રહ્યા છે કે જો આ અન્યાયપૂર્ણ ટિકિટ તાત્કાલિક રદ નહીં કરવામાં આવે, તો તેઓ મૌન નહીં બેસે. આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જે ચૂંટણી પહેલાં પક્ષ માટે ગંભીર પડકાર બની શકે છે.

આ સમગ્ર વિવાદ ભાજપ માટે ચેતવણી સમાન છે. જો પાયાના કાર્યકરોને અવગણવામાં આવશે અને પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવશે, તો તેનો સીધો અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. હવે નજર પક્ષના ટોચના નેતૃત્વ પર છે—શું તેઓ આ “નિયમોના ઢોંગ” સામે કડક પગલાં લેશે કે પછી કાર્યકરોનો વિશ્વાસ ગુમાવવાનો જોખમ ઉઠાવશે?

વાયરલ પત્રને આધારે લખાણ લખેલ છે.. વાયરલ પત્રની અમો પુષ્ટિ કરતાં નથી…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!