૩૬ દિવસનું ઉગ્ર આંદોલન અને ૨૨ વિદ્યાર્થીઓના સુસાઈડ બાદ દિલ્હીમાં મોટો રાજકીય ભૂકંપ
પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિના વિરોધમાં દેશવ્યાપી આક્રોશનો મોટો વિજય
દેશના શૈક્ષણિક ઇતિહાસમાં કદાચ પહેલીવાર યુવા પેઢી (Gen Z) ના પ્રચંડ અને અભૂતપૂર્વ આક્રોશ સામે કેન્દ્રની મોદી સરકારને નમતું જોખવાની ફરજ પડી છે. દેશભરમાં પેપર લીક અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ સામે છેલ્લા ૩૬ દિવસથી ચાલી રહેલા ભારે વિદ્યાર્થી આંદોલન બાદ આખરે મોટો રાજકીય નિર્ણય લેવાયો છે. વિવાદોના વમળમાં સતત ઘેરાયેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશના જુદા-જુદા રાજ્યોમાં આ ગંભીર મુદ્દાને કારણે ૨૨ જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓએ સુસાઈડ કર્યાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી હતી, જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. ચોતરફથી ઘેરાયેલી સરકાર માટે આ આક્રોશને શાંત કરવો અનિવાર્ય બન્યો હતો.
રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર એક રાજીનામું નથી પરંતુ દેશની સિસ્ટમ સામે સવાલો ઉઠાવતી યુવા શક્તિના દેશવ્યાપી આક્રોશનો મોટો વિજય હોય તેવું હાલ સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે. આ નિર્ણય બાદ હવે દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં કેવા મોટા સુધારા થાય છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.
શું શિક્ષણ પ્રધાનનું રાજીનામું દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરતું છે? સિસ્ટમમાં કાયમી સુધારા ક્યારે?
