જમીનના વેચાણ માટે ખોટા સોગંદનામા અને આધાર પુરાવાઓના આધારે દસ્તાવેજ કર્યાનો આક્ષેપ
અરવલ્લી જિલ્લા કિસાન સભા સમિતિએ રાજ્યમાં કેટલાક સરકારી અધિકારીઓ, ભૂ-માફિયાઓ અને તેમના એજન્ટોની સાંઠગાંઠથી ગરીબ ખેડૂતોની જમીનો પડાવી લેવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ સંદર્ભે ધનસુરા તાલુકાના શિણોલ ગામમાં બનેલો એક કથિત જમીન કૌભાંડનો મામલો સામે આવતાં કિસાન સભાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે.
કિસાન સભાના આગેવાનો દ્વારા દસ્તાવેજી વિગતો અને હકીકતોની તપાસ બાદ સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું છે કે આશરે 15 વર્ષ અગાઉ શિણોલ ગામની એક જમીનના વેચાણ માટે ખોટા સોગંદનામા અને આધાર પુરાવાઓના આધારે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.
કિસાન સભાના જણાવ્યા મુજબ આશરે 25 લાખ રૂપિયાનું બોજો ધરાવતી જમીનનો સોદો તમામ મૂળ ખાતેદારોની સંમતિ અને હાજરી વિના કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દસ્તાવેજના આધારે મહેસૂલી નોંધો પણ દાખલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલામાં કુલ 9 ખાતેદારો પીડિત બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કિસાન સભાએ નિષ્પક્ષ તપાસપંચની રચના કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન ડાહ્યાભાઈ જાદવ, એડવોકેટ ચંદ્રપાલસિંહ, મહેન્દ્રસિંહ, જસુભાઈ, શનાભાઈ તરાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા.


